Monday, March 03, 2008

...તોય શું ?

કિસ્સાતરીકે વાત જો ફેલાય, તોય શું ?
મારા વિષેની માન્યતા, બદલાય તોય શું ?

સંબંધનું આકાશ ખુદ દુષ્કાળગ્રસ્ત છે
સપનાં પ્રણયના, જળસભર દેખાય તોય શું ?

હું તો અધૂરા પર્વની તસ્વીર છું, હવે
ભીંતો ગમે તે રંગથી રંગાય, તોય શું ?

કાંડાવગરના હાથનું જ્યોતિષ, શું કરે !
નવગ્રહ, દસે દીશા, અસર, ચર્ચાય તોય શું ?

થીજી ગયેલા રક્તમાં ઉત્તેજના નથી
ઉત્કંઠ ઈચ્છા, કાનમાં ફૂંકાય તોય શું ?

મારા હ્રદયમાં, એકલો શૂન્યાવકાશ છે
ઉલ્લેખ કૂણી લાગણીનો થાય તોય શું ?

સાતેય કોઠે રંગહિન છાયા ફરીવળી
સૂરજ તપે, કે ચાંદની ઢોળાય તોય શું ?

સંવેદના જેવું કશું અસ્તિત્વમાં નથી
ગમતા વિષયની વારતા મંડાય તોય શું ?

નાજુક તબક્કે મોતની છે જીત -આખરે !
ખુલ્લી રહે કે આંખ આ, મિંચાય તોય શું ?

ડો.મહેશ રાવલ

3 Comments:

At 5:56 PM , Blogger shubham said...

maja aavi gayi maheshbhai,

 
At 11:24 PM , Blogger વિવેક said...

હું તો અધૂરા પર્વની તસ્વીર છું, હવે
ભીંતો ગમે તે રંગથી રંગાય, તોય શું ?

- સરસ અભિવ્યક્તિ... ભાવની તાજગી સ્પર્શી રહે છે...

 
At 12:24 AM , Blogger Chetan Framewala said...

વાહ.....
સુંદર ગઝલ....
લગે રહો મહેશભાઈ.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home