Saturday, March 15, 2008

ક્યાંસુધી લખવા !

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી'તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

ડો.મહેશ રાવલ

1 Comments:

At 10:30 PM , Blogger વિવેક said...

ફરી એકવાર મજેદાર કૃતિ...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home